Home> Gujarat
Advertisement
Prev
Next

LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગની મહિલાઓ આક્રોશમાં, સરકાર સામે મોરચો ખોલવાની ચીમકી

ગાંધીનગરમાં 1-8-2018ના પરિપત્રને રદ કરવા સામે બિન અનામત વર્ગની મહિલાઓની વિશાળ રેલી કાઢવામાં આવી છે. બિન અનામત વર્ગના આગેવાનોએ ગાંધીનગર કલેકટરને આ મામલે આવેદન પત્ર પાઠવ્યું છે. ત્યારબાદ આ આગેવાનો મુખ્યમંત્રી નિવાસ સ્થાન તરફ નીકળી ગયા. તેઓ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમય લઈને તેમની સાથે વાતચીત કરવા માંગે છે. 

LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગની મહિલાઓ આક્રોશમાં, સરકાર સામે મોરચો ખોલવાની ચીમકી

ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: ગુજરાતમાં હાલ એલઆરડી ભરતી મુદ્દો વકર્યો છે. એક વર્ગની માંગ છે કે 1-8-18નો પરિપત્ર રદ કરાવમા આવે અને બીજા વર્ગની માંગ છે કે ન તો રદ કરવામાં આવે ન તો તેમાં સુધારો કરવામાં આવે. જો કે સરકાર અનામત કેટેગરીની મહિલાઓના વિરોધ સામે ઝૂકી હોય તેવું લાગે છે. કારણ કે હાઈકોર્ટમાં સરકારે કહ્યું કે આવતીકાલે નવો પરિપત્ર બહાર પાડીશું. નવા પરિપત્ર પ્રમાણે SC, ST, OBCની મહિલાઓને જનરલ કેટેગરીમાં લાભ મળશે. જો કે આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે બિન અનામત વર્ગની મહિલાઓમાં ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં 1-8-2018ના પરિપત્રને રદ કરવા સામે બિન અનામત વર્ગની મહિલાઓની વિશાળ રેલી કાઢવામાં આવી છે. બિન અનામત વર્ગના આગેવાનોએ ગાંધીનગર કલેકટરને આ મામલે આવેદન પત્ર પાઠવ્યું છે. ત્યારબાદ આ આગેવાનો મુખ્યમંત્રી નિવાસ સ્થાન તરફ નીકળી ગયા. તેઓ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમય લઈને તેમની સાથે વાતચીત કરવા માંગે છે. 

પરિપત્ર રદ થશે તો આંદોલન કરાશે-મહિલાઓ
પરિપત્ર મામલે બિન અનામત વર્ગની મહિલાઓમાં ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેમણે સરકારને ચીમકી આપતા કહ્યું છે કે અમને અમારો લાભ મળવો જોઈએ. મહિલાઓનું કહેવું છે કે પરિપત્ર રદ થશે તો તેઓ આંદોલન કરશે. આ પરિપત્ર રદ થવો જોઈએ નહીં. અત્રે જણાવવાનું કે આ મામલે પાસના નેતા દિનેશ બાંભણીયાએ આજથી અન્નજળ ત્યાગની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયા તેમજ બિન અનામત વર્ગની કેટલીક મહિલાઓ આજથી જ ઉપવાસ આંદોલન કરશે. આવેદન અપાયા બાદ મહિલાઓ ઉપવાસ છાવણી જવા રવાના થઈ રહ્યાં છે. અહીં તેઓ અનામત કેટેગરીની મહિલાઓ સાથે બેસીને પોતાની વાતની રજુઆત કરશે.

એક પત્રકાર પરિષદમાં દિનેશ બાંભણિયાએ કહ્યું કે, 1 ઓગસ્ટ ૨૦૧૮નો પરિપત્ર અમારો બંધારણીય અધિકાર છે. એની સાથે કોઇ બાંધછોડ નહિ થાય. ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે. આજે કલેક્ટરને રજૂઆત કરીશું. સરકાર પરિપત્રમાં કોઇપણ ફેરબદલ કરે એમાં બિન અનામત વર્ગને વિશ્વાસમાં લે. સરકાર એક તરફી નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે અમે કાયદાકીય લડાઇ લડીશું. મુખ્યમંત્રીને મળીને રજુઆત કરવામાં આવશે. એલઆરડી ભરતીમાં માત્ર બિન અનામત વર્ગના લોકોને જ ઓર્ડર આપવામાં આવ્યા નથી. જો સરકાર અમારી વાત નહિ માને તો આજથી ઉપવાસ છાવણી પર આંદોલનની શરૂઆત કરીશું. અમે અમારી સાથે થયેલા ભેદ ભાવને સાંખી લઇશું નહી.

જુઓ LIVE TV

LRD મહિલા અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય
LRD મહિલા અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય લીધો છે. ભરતી વિવાદ મામલો હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પડશે. જેમાં મેરીટવાળી મહિલાઓને SC, ST, OBC મહિલાઓને જનરલ કેટેગરીના લાભ અપાશે. આવતી કાલ સુધી રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડશે. જે નવો પરિપત્ર હશે તે 18 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મેરીટમાં હશે તો SC, ST, OBCને જનરલના લાભ અપાશે. સીધી લીટીમાં અનામત લાભ આપવા અંગે સરકારે નિર્ણય લીધો છે.

બિન અનામત વર્ગની 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટીશન કરી
ઉલ્લેખનીય છે કે, એલઆરડી પરીક્ષામાં પાસ થયેલી 254 યુવતીઓ હાઈકોર્ટ પહોંચી છે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટીશન કરી છે. LRD મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઈ યુવતીઓ દ્વારા આ પિટીશન કરાઈ છે. પાસ થયેલી 1578 પૈકી 254 યુવતીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણૂંક પત્ર આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More